Q - 1. નીચેનાં પ્રશ્નોનાં એક-એક વાક્યમાં ઉત્તર લખો :
(1) ઊર્મિલા શા માટે બહાવરી બની છે?
જવાબ :- ઊર્મિલા પોતાનાં પતિ લક્ષ્મણ પણ મોટા ભાઈ રામ અને ભાભી સીતા સાથે વનમાં જાય છે, એ વાત સાંભળી ઊર્મિલા બહાવરી બની છે.
(2) દૂરથી પતિને આવતા જોઈ ઊર્મિલા શું વિચારે છે?
જવાબ :- હાથમાં ધનુષ-બાણ અને વનનાં વસ્ત્રોમાં સજ્જ પતિને આવતા જોઈ ઊર્મિલાનાં મનમાં હજારો વસમા વિચારો આવે છે.
(3) પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઊર્મિલાને ક્યુ કારણ બતાવે છે?
જવાબ :- પોતાનાં વનમાં જવાનું લક્ષ્મણ ઊર્મિલા ને એ કારણ બતાવે છે કે નાના ભાઈ તરીકે તેણે વનમાં સાથે જઈ મોટા ભાઈ અને ભાભીની સેવા કરવી જોઈએ.
Q - 2. નીચેના પ્રશ્નોનાં બે-ત્રણ વાકયોમાં ઉત્તર લખો :
(1) વનમાં જવા અંગેની પતિની વાત ની ઊર્મિલા પર શી અસર થાય છે?
જવાબ :- પોતાનો પતિ વનમાં જાય છે તે વાત ઊર્મિલાએ સ્વપ્નમાં પણ વિચારી નથી અને ક્યારેય મનમાં પણ આણી નથી એવી વાત હકીકત છે તે જાણીને ઊર્મિલા ને સાપે દંશ દીધો હોય તેવી લાગે છે. તેનું લોહી ફિક્કું પડી જાય છે. આ વાત સાંભળીને ઊર્મિલાનું હૈયું ચિરાઈ જાય છે અને આંખો પહોળી થઈ જાય છે. તેને પોતાનાં દેહની પણ સુધબુધ રહેતી નથી. લાકડાની પૂતળી જેવી થઈ તે પોતાનાં પતિની સમક્ષ ઊભી રહે છે.
(2) પતિની વાતનો ઊર્મિલાએ શો જવાબ આપ્યો?
જવાબ :- લક્ષ્મણ વનમાં જાય છે તે વાત સાંભળી ઊર્મિલા સત્બ્ધ થઈ જાય છે. તેને અત્યંત આઘાત લાગે છે પરંતુ તે લક્ષ્મણ પોતાનાં મોટા ભાઈ અને ભાભીની સેવા કરવા માટે વનમાં સાથે જાય છે તે સાંભળી તે સ્વસ્થ થઈ લક્ષ્મણને કહે છે કે, ”વહાલા તમે ધર્મનો વિચાર કરીને તમારા ભાઈની સેવા માટે જાવ છો તો આ સત્કાર્ય માં મારાથી અવરોધ કઈ રીતે ઊભો કરી શકાય? તમારા દુખમાં હું કઈ રીતે વધારો કરી શકું? તમને ઘણું કહેવાનું હોવા છતા હું કાંઇ જ નહીં કહું, તમારી સાથે આવવાની હઠ કરીને તમારી ચિંતામાં વધારો નહિઁ કરું. તેના કરતાં ઇત્તમ એ છે કે તમારો વિયોગ સહેતા ભલે મારૂ હૈયું ચિરાઈ જાય.”
(3) ધીરજવાન જણાયેલી ઊર્મિલા ક્યારે મૂર્છિત થઈ ગઈ?
જવાબ :- પોતાનાં પતિ લક્ષ્મણ વનમાં જાય છે તે સમાચાર સાંભળી સૌ પ્રથમ તો ઊર્મિલા સ્તબ્ધ થઈ જાય છે પરંતુ લક્ષ્મણ રામની સેવા કરવા માટે તેમની સાથે જાય છે એ સાંભળીને ઊર્મિલા સ્વસ્થ થઈ લક્ષ્મણની વનમાં જવાની વાત સ્વીકારી લે છે. ઊર્મિલાની વિદાય લેતાં પહેલાં લક્ષ્મણ તેને આલિંગન આપે છે અને તેની દ્રષ્ટિ સાથે દ્રષ્ટિ મેળવી, દીર્ઘ નિ:શ્વાસ નાખીને લક્ષ્મણ ત્યાંથી વિદાય લે છે. લક્ષ્મણનિ પીઠ વળતાં જ ધીરજવાન જણાયેલી ઊર્મિલા મૂર્છિત થઈ જાય છે.
Q - 3. નીચેના પ્રશ્નોનાં સવિસ્તર ઉત્તર લખો :
(1) આ કાવ્યનાં આધારે ઊર્મિલાનું ચરિત્રચિત્રણ કરો.
જવાબ :- લક્ષ્મણ રામ અને સીતા સાથે વનમાં જાય છે એ સમાચાર સાંભળી ઊર્મિલા બહાવરી બની જાય છે. તે સ્તબ્ધ થઈ લાકડાની પૂતળી જેવી થઈ જાય છે. લક્ષ્મણને દૂરથી વનનાં વસ્ત્રોમાં સજ્જ થઇ આવતા જોઈ ઊર્મિલાનું હૈયું ચિરાઈ જાય છે. લક્ષ્મણ પોતાનાં ભાઈ અને ભાભીની સેવા કરવા માટે તેમની સાથે વનમાં જાય છે તે જાણી ઊર્મિલા સ્વસ્થ થઈ જાય છે અને સંયમ ધારણ કરી લક્ષ્મણને કહે છે કે તમે તમારા ધર્મનું પાલન કરો હું તેમાં અવરોધ ઊભો નહીં કરું તેમજ તમારી સાથે આવવાની હઠ કરી તમારી ચિંતામાં વધારો પણ નહીં કરું. એક રાજવધૂ તરીકે તે પોતાની જવાબદારીઓ સમજે છે અને સ્વીકારે છે. તેનામાં પણ કુટુંબ સુખની ભાવના રહેલી છે.
તે પત્ની તરીકે પોતાનાં પતિ લક્ષ્મણને વનમાં જતાં રોકી શકી હોત પરંતુ તે સંયમ રાખી ને લક્ષ્મણને અનુમતિ આપે છે. તેને ત્યાગની મૂર્તિ તરીકે દર્શાવવામાં આવી છે. ઊર્મિલાની મન:સ્થિતિને લક્ષ્મણ એક શૂરવીર યોધ્ધા સાથે સરખાવે છે. ઊર્મિલા લક્ષ્મણને સંયમપૂર્વક વિદાય આપે છે અને લક્ષ્મણનાં પીઠ ફરતાં જ તે મૂર્છિત થઈ પડી જાય છે. ઊર્મિલા સેક બહાદુર, સંયમી, કૌટુંબ વત્સલ, ધૈર્યવાન, સમજુ અને પ્રેમાળ નારી તરીકે ચિત્રિત થયેલ છે. આમ, ઊર્મિલાનાં ઉચ્ચ ચરિત્ર આગળ નત મસ્તક થવાનું મન થાય તેટલું ઉમદા તેનું ચરિત્રચિત્રણ થયેલું છે.
(2) લક્ષ્મણ ઊર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે?
જવાબ :- પોતાનાં મોટા ભાઈ રામ અને ભાભી સીતા સાથે લક્ષ્મણ વનમાં જાય છે આ વાતની જ્યારે ઊર્મિલાને ખબર પડે છે ત્યારે તે સત્બ્ધ બની જાય છે. લક્ષ્મણ પણ વનમાં જતાં પહેલાં ઊર્મિલાને મળવા અને તેની અનુમતિ માંગવા માટે જાય છે ત્યારે ઊર્મિલાને સત્ય કઈ રીતે કહેવું અને કઈ રીતે અનુમતિ માંગવી એવી દ્વિધામાં છે. ઊર્મિલાને જ્યારે જાણ થાય છે કે લક્ષ્મણ પોતાનો બંધુધર્મ નિભાવવા જાય છે ત્યારે હ્રદય પર પથ્થર મૂકીને લક્ષ્મણને સંમતિ આપે છે. આક્રંદ કરી ને કે સાથે આવવાની હઠ કરીને તે લક્ષ્મણની ચિંતામાં વધારો કરતી નથી. પોતાનાં ચહેરા પર તે શોકની એક રેખા પણ આવવા દેતી નથી.
તેને આ સ્થિતિમાં જોઈઉ લક્ષ્મણ તેને શૂરવીર યોધ્ધા સાથે સરખાવે છે. લક્ષ્મણ માટે ઊર્મિલાનું આ વર્તન તદ્દન અન અપેક્ષિત હતું તેથી તેના મુખે ઊર્મિલા માટે “સંસારસેવકોથી તું જુદી કેઇ સુરાત્મા” એવાં શબ્દો સરી પડે છે. લક્ષ્મણ ઊર્મિલાનું ‘સુરાત્મજા’ કહી બહુમાન કરે છે. સીતાનો દાખલો આપી ઊર્મિલા પણ સાથે આવવાની હઠ કરશે તેવો લક્ષ્મણનો ભય ઊર્મિલા દૂર કરી દે છે. એ જાણી લક્ષ્મણ કહે છે કે, ‘દિવ્ય કો દેવી સિધ્ધ તું સર્વદા થઈ’. આમ ઉત્તમ શબ્દો વડે લક્ષ્મણ ઊર્મિલાનું બહુમાન કરે છે.
